અંદમાનમાં વાવાઝોડા અને ભારે વરસાદના કારણે આશરે 800 ટૂરિસ્ટ ફસાઈ ગયા છે. જેમાંથી 350થી વધુ ગુજરાતીઓ હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમને કાઢવા માટે નેવીએ ચાર જહાજને અંદમાન નિકોબારના હેવલોક આઈલેન્ડ માટે રવાના કરી દીધા છે. અંદમાનમાં હાલ પડી રહેલા ભારે વરસાદના કારણે આમ કરવામાં આવ્યું છે.
ગુજરાતીએ વર્ણવી સ્થિતિ
અંદમાન અને નિકોબારના પ્રવાસે ગયેલા પાટણના પ્રવાસી પી.જે.પટેલે જણાવ્યું કે હેવલોક આઇલેન્ડ પર 700થી 800 જેટલા પ્રવાસીઓ ફસાયા છે, જેમાં 50 ટકા કરતાં વધુ ગુજરાતીઓ છે. 48 કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે પરિણામે પોર્ટ બ્લેરથી શીપ આવતા નથી. તેઓએ વધુમાં જણાવ્યું કે સામાન્ય રીતે અહીં હોટલોના ભાડા 1200થી 2600 ચાલે છે પરંતુ અત્યારે પરિસ્થિતિનો લાભ લઇ હોટલોવાળા 12 હજારથી 15 હજાર ખંખેરી રહ્યા છે. અહીં મોબાઇલ નેટવર્કની પણ સમસ્યા છે. નેટ બંધ છે. માત્ર બીએસએનલ અને વોડાફોન દ્ધારા જ સંપર્ક કરી શકાય છે. ફ્લાઇટ બુકિંગમાં પણ હજુ વેઇટિંગ લિસ્ટ તૈયાર થઇ રહ્યું છે. સમગ્ર આઇલેન્ડ પર અફડાતફડીનો માહોલ છે.
સેનાની માંગી હતી મદદ
- મળતી માહિતી મુજબ અંદમાન અને નિકોબાર એડમિનિસ્ટ્રેશને લોકોને બહાર કાઢવા માટે સેનાની મદદ માંગી છે. હેવલોક આઈલેન્ડ પોર્ટ બ્લેયરથી 40 કિલોમીટર દૂર છે.
- ડિઝાસ્ટર મેનેજમેન્ટના ડાયરેક્ટર કે અધિકારીએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, પોર્ટ બ્લેયરથી 310 કિમી દૂર પાણીમાં દબાણ બની રહ્યું છે. આ કારણે નેવીની મદદ માંગવામાં આવી છે. અમે કોઈ જાતનો ખતરો લેવા માંગતા નથી.
ચાર જહાજ કામે લાગ્યા
- એનએસ બિત્રા, બંગરામસ, કુંભીર અને LCU 38 હેવલોક રવાના કરી દેવામાં આવ્યા છે. આ ચાર જહાજ દ્વારા ટુરિસ્ટોને બહાર કાઢવામાં આવશે.
- અધિકારીઓના જણાવ્યા મુજબ દબાણ ક્યારે કોઈ ભયાનક ચક્રવાતમાં ફેરવાઈ જાય તેનો કોઈ અંદાજ નથી. આ કારણે ટુરિસ્ટોને શક્ય તેટલાં વહેલાં નીકાળવા જરૂરી છે.
- હેવલોક તેના રમણીય બીચો માટે વિશ્વભરના ટુરિસ્ટોમાં જાણીતું છે.
ફસાયેલા ટુરિસ્ટે પીએમની માંગી મદદ
- જે ટુરિસ્ટ ફસાયેલા છે તેમાંથી કોઈ એકે ટ્વિટર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે મદદ માંગી હતી. ટુરિસ્ટે ટ્વિટ કરીને કહ્યું કે, ‘@PMOIndia સર! છેલ્લાં બે દિવસથી અહીંયા ચક્રવાતની અસર છે. જેના કારણે અમે હેવલોક આઈલેન્ડ પર ફસાઈ ગયા છીએ. પ્લીઝ પોર્ટ બ્લેયર પહોંચવામાં અમારી મદદ કરો.’
હેવલોક આઈલેન્ડમાં ભારે વરસાદ
- હાલ નેવીના જહાજ ઘટનાસ્થળ પર પહોંચી તો ગયા છે પરંતુ ભારે વરસાદના કારણે સમુદ્રની સ્થિતિ ખરાબ છે. આ કારણે હેવલોકમાં ફસાયેલા ટુરિસ્ટો હજુ સુધી પોર્ટ બ્લેયર પહોંચ્યા નથી.
- ઉલ્લેખનીય છે કે બંગાળની ખાડીમાં જોરદાર દબાણના કારણે ગત બે દિવસથી હેવલોક આઈલેન્ડમાં ભારે વરસાદ પડી રહ્યો છે.
- હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ દબાણ આગામી 48 કલાકની અંદર અંદમાન-નિકોબાર ટાપુમાં ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જઈ શકે છે. માછીમારોને પણ દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.
Tags
Gujarati News