ટૂંક સમયમાં આધાર કાર્ડ ઓનલાઈન તેમજ ક્રેડિટ/ડેબિટ કાર્ડ ટ્રાન્ઝેક્શનનો નવો વિકલ્પ બનશે. આ માટે પાસવર્ડ કે પીન નંબરની પણ જરૂર નહીં પડે. આ માટે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) ખાસ મોબાઈલ એપ તૈયાર કરી રહી છે. વેપારીઓ આ એપથી લોકો પાસેથી પેમેન્ટ મેળવી શકશે. નીતિ આયોગ દ્વારા ભારતને કેશલેસ કરવા અંગે ચલાવવામાં આવેલા અભિયાન બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર રોકડ વ્યવહારોને બદલે ડિજિટલ પેમેન્ટને વધારો પ્રોત્સાહન મળે એ માટે પોલીસી બનાવવા પર પણ કામ કરી રહી છે.
આધાર કાર્ડથી કેવી રીતે થશે પેમેન્ટ?
UIDAIના મહાનિર્દેશક અજય પાંડેએ જણાવ્યું હતું કે બેંક ખાતા સાથે લિંક થયેલા આધાર કાર્ડથી પેમેન્ટ શક્ય બનશે. આ માટે બનાવવામાં આવેલી ખાસ એપની મદદથી બે પાર્ટી વચ્ચે પેમેન્ટ શક્ય બનશે. આ માટે કોઈ પીન કે પાસવર્ડની જરૂર નહીં રહે. એપ્લિકેશનમાં આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો રહશે. ત્યાર બાદ બાયોમેટ્રિક ફિંગર પ્રિન્ટ અથવા આંખની કીકીથી વેરિફિકેશન કરી સરળતાથી પેમેન્ટ કરી શકાશે.
આધારની નોંધણીમાં ઉછાળો
પાંડેએ જણાવ્યું હતું કે આંધ્ર પ્રદેશ સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનોમાં આધાર સાથે જોડાયેલી સિસ્ટમનો ઉપયોગ કરી રહી છે. આધાર કાર્ડ સાથે જોડાયેલા વ્યવહારો માટે પિન કે કાર્ડની જરૂર નથી. પાંડેએ જણાવ્યું હતું કે આધાર કાર્ડ કઢાવવા માટે લોકોનો ધસારો વધી રહ્યો છે. આનું કારણ એ હોઈ શકે છે કે લોકોને ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં આધારના રોલનું મહત્વ અગાઉથી સમજાઈ ગયું છે. આ જ કારણે નવેમ્બર 8 પછી આધાર કાર્ડની નોંધણીમાં મોટો ઉછાળો આવ્યો છે. દરરોજ 4-5 લાખ કાર્ડની નોંધણી થતી હતી, તેની જગ્યાએ અત્યારે 7 લાખ જેટલા કાર્ડની નોંધણી થઈ રહી છે.
2 ડિસેમ્બરથી પેટ્રોલપંપ અને એરપોર્ટ પર 500ની જૂની નોટ નહીં ચાલે
પેટ્રોલપંપ તથા એરપોર્ટ પર આજથી(શુક્રવાર) 500ની જૂની નોટ નહીં ચાલે. પહેલાં 15 ડિસેમ્બર સુધીની મુદત અપાઈ હતી. ગુરુવારે આરબીઆઇએ 2 ડિસેમ્બર સુધી નોટ ચલાવવાનો નિર્ણય કર્યો હતો.
નોટબંધીનું કારણ : સરકારનો દાવો છે કે પેટ્રોલપંપ અને એર ટિકિટ બુકિંગમાં મોટા પાયે 500ની નોટનો ઉપયોગ થઇ રહ્યો છે. તેમાં ગરબડ થવાની શંકા હતી.
આ 19 જગ્યાઓ પર 5 ડિસેમ્બર સુધી 500ની જૂની નોટ ચાલશે
સરકારી હોસ્પિટલ, ફાર્મસી, રેલવે અને મેટ્રો ટિકિટ, રેલવે કેટરિંગ, સરકારી ગોડાઉનોમાંથી 5 હજાર સુધીના સામાનની ખરીદી, મિલ્ક બૂથ, સ્મશાન ઘાટ, કબ્રસ્તાન, એલપીજી સિલિન્ડર, સ્મારક ટિકિટ, સ્થાનિક એકમોના બિલ-દંડ, ઘરનું વીજળી બિલ, પાણીનું બિલ, કોર્ટ ફી, સરકારી સ્કૂલોમાં બે હજાર સુધીની ફી, સરકારી કોલેજની ફી, 500 રૂપિયા સુધી પ્રિપેઇડ મોબાઇલ રિચાર્જ, ટોલ પ્લાજા.
નેશનલ હાઇવે પર આજે અડધી રાતથી ટોલ ટેક્સ શરૂ થશે
દરેક નેશનલ હાઇવે પર શુક્રવારે અડધી રાતથી ટોલ ટેક્સની વસૂલી શરૂ કરાશે. નોટબંધી પછી ટોલ વસૂલી બંધ કરવામાં આવી હતી. જોકે ટોલ પ્લાઝા પર 15 ડિસેમ્બર સુધી 500 રૂપિયાની જૂની નોટમાંથી પણ ટોલ ચૂકવવામાં આવે છે.
Tags
Gujarati News