થરાદ: થરાદની નર્મદા નહેરમાંથી મંગળવારે સવારે પીઠ પાછળ વજનદાર પથ્થર તારથી બાંધેલી હાલતમાં 25 વર્ષની અજાણી મહિલાનો મૃતદેહ મળતાં પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. સણધરની સીમમાંથી પસાર થતી નર્મદા મુખ્ય નહેરમાંથી અજાણી મહિલાનો મૃતદેહ નહેરના કિનારે પાણીમાં આછો પાતળો ગરકાવ થયેલો જોવા મળતાં ગામના ખેડૂત વિક્રમસિંહ વિહજી દેવડાએ પોલીસને જાણ કરી હતી.
કેનાલમાં અડધી ડૂબેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળ્યો
મહિલાનો મૃતદેહ પીઠ પાછળ માઇલસ્ટોન જેવા આરસીસીના પથ્થરથી અસંખ્ય વાયરથી બાંધેલી હાલતમાં મળી આવ્યો હતો. જેને ચાર માણસોની મદદથી ખેંચીને બહાર લાવી પીએમ માટે થરાદ લવાયો હતો. પોલીસને જાણ કરનાર વિક્રમસિંહે કહ્યું કે, કેનાલમાં અડધી ડૂબેલી હાલતમાં મહિલાનો મૃતદેહ જોયો હતો. આથી ગ્રામજનો ત્યાં દોડી ગયા હતા. આ અંગે મેં પોલીસને જાણ કરી હતી. પોલીસે કહ્યું કે, મોત નહેરમાં જ થયું છે કે તેને મારીને ફેંકી દેવાઈ છે એ પીએમ રિપોર્ટ બાદ જ જાણી શકાશે.
રૂવાડાં ઊભા કરી નાખે તાવી ઘટના સામે આવી
નોંધનીય છે કે ગત રવિવારે થરાદની મહાજનપુરાની સીમમાંથી દુધવાના યુવકની પણ હત્યા કરીને ફેંકી દેવાયેલ મૃતદેહ મળી આવ્યો હતો. જેની તપાસ હજુતો ચાલી રહી છે, ત્યાં વધુ એક રૂવાડાં ઉભાં કરી નાખે તેવી ઘટના સામે આવતાં પંથકમાં ભારે અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી હતી.
પોલીસ સહિતના અધિકારીઓ નહેર પર દોડી આવ્યા
અજાણી મહિલાનો મૃતદેહ નહેરના કિનારે પાણીમાં પડ્યો હોવાની જાણ થતાં પીએસઆઇ એસ કે પરમાર સ્ટાફ તથા નગરપાલિકાના તરવૈયા સુલતાન મીરની સાથે નહેર પર દોડ્યા હતા.
કેનાલ ઉપર લીસોટા દેખાયા: પોલીસ
મૃતદેહને પથ્થર સાથે બાંધી ફેંકાઇ હોવાના પુરાવારૂપ લીસોટા કેનાલ ઉપર જોવા મળ્યા છે. મૃતદેહની ઓળખ માટે ફોટા સોશિયલ મીડિયામાં મુકી તમામ પોલીસ મથકોએ જાણ કરી છે. - એસ.કે. પરમાર, પીએસઆઈ
Tags
Gujarati News