એક પરિવાર આખુ વર્ષ પીવે છે વરસાદી પાણી, 35 હજારના ખર્ચે તૈયાર કર્યો પ્રોજેકટ
નવસારી: જીવન જીવવા માટે જરૂરી હવા પાણી અને ખોરાક જેમાં પાણીની સમસ્યાને લઈને દેશના કેટલાક લોકોની સ્થિતિ બેહાલ બની છે ત્યારે નવસારીનાં વિજલપોર શહેરના એક પ્રાધ્યાપકે વોટર હાર્વેસ્ટીંગનો નવતર પ્રયોગ કર્યો છે જે સમગ્ર જનસમુદાય માટે દિશાસૂચક બની શકે તેમ છે. વિજલપોર શહેરના મોરાર પાર્ક વિસ્તારનાં નિવાસી અને નવસારી કૃષિ યુનિવર્સિટીના ફોરેસ્ટ્રી વિભાગના પ્રિન્સિપાલ પ્રશાંત શ્રીવાસ્તવ છેલ્લા 8 વર્ષથી પોતાના ઘરમાં રેન વોટરહાર્વેસ્ટીંગ કરેલુ શુદ્ધ પાણી પીએ છે. પોતાના 1200 સ્ક્વેર ફુટ ઘર બનાવી રહ્યા હતા તેની સાથે વોટર હાર્વેસ્ટીંગ માટે અન્ડરવોટર ટાંકી પણ બનાવી હતી.
10 હજાર લીટર વરસાદી પાણીનો સંગ્રહ
35 હજારના ખર્ચે 10 હજાર લિટર પાણી સંગ્રહ કરી શકાય તેવી ટાંકી બનાવી છે. ઘરના ધાબા પર એક જ બાજુ ઢાળ આપી પાણીની ટાંકીમા લાઈન જોડવામા આવી છે. પાણીમાં કિટકો કે જીવાતો ન પડે તેના માટે માટલીમાં ચુનો ભરીને મુકવામા આવ્યો છે અને હવા કે પ્રકાશ ટાંકીમા ન જાય તેવા ચુસ્ત ઢાંકણો બનાવવામા આવ્યા છે. 1 વ્યક્તિ એક વર્ષમા 1 હજાર લિટર પાણી પી શકે તેવી રીતે 10 લોકો આખુ વર્ષ પાણી પી શકે તેવુ પ્લાનગ કરી ટાંકી બનાવવામા આવી છે.આ પ્લાન્ટની મદદથી 2 વર્ષ પહેલા ભેગુ કરેલુ પાણી આજે પરિવારજનો પી રહ્યા છે. કેલ્શીયમ યુક્ત 20 ટીડીએસવાળુ પાણીના ઊપયોગના કારણે પરિવારને પાણીજન્ય રોગોથી છુટકારો મળ્યો હોવાનુ પણ પરિવારજનો જણાવી રહ્યા છે અને ભવિષ્યમા પાણીની કિલ્લત સામે લડવા માટે આ પ્રકારના વરસાદી પાણીના સંગ્રહના પ્રોજેક્ટો જરુરી હોવાનુ માની રહ્યા છે.
ધાબા પર એકત્રિત થયેલું વરસાદી પાણી ટાંકીમાં ઉતારાય છે
ચોમાસાની શરૂઆતમા ટેરેસને બરાબર સાફ કરવામાં આવે છે. જે બાદ વાતાવરણ ચોખ્ખુ હોય ત્યારે એકધારા વરસતા વરસાદમાં ધાબા પર એકત્રિત થયેલા વરસાદી પાણીને પાઇપનાં માધ્યમથી ટાંકીમાં ઉતારવામાં છે. અને બરાબર બંધ કરી દેવામા આવે છે.