સાળંગપુર: બાપ્સના વડા પ્રમુખસ્વામી મહારાજના દર્શન માટે દેશ-વિદેશથી લાખોની સંખ્યામાં હરિભક્તો સાળંગપુર ખાતે ઉમટી રહ્યાં છે. ભારતના વડાપ્રધાન મોદી પણ સોમવારે બાપાના અંતિમ દર્શન માટે આવી રહ્યાં છે. ત્યારે દેશ-વિદેશમાં અનેક મંદિરોની સ્થાપના કરનાર પ્રમુખસ્વામી સાળંગપુર ખાતે જ કેમ છેલ્લા કેટલાય દિવસોથી સ્થાયી થયા છે? તેવો પ્રશ્ન પણ લોકોમાં ચર્ચાઈ રહ્યો છે. ત્યારે દિવ્યભાસ્કર ડોટ કોમ વાંચકોને આ અંગે થોડી માહીતી આપવા જઈ રહ્યું છે.
છેલ્લા ત્રણથી પણ વધુ વર્ષથી સાળંગપુરમાં નિવાસ કરી રહેલા બાપાની અંતિમ ઇચ્છા હતી કે તેમનો નશ્વર દેહ આજ ભૂમિ પર છૂટે અને તે જ પ્રમાણે બાપાએ 13 ઓગષ્ટે સારંગપુર ખાતે પોતાના અંતિમ શ્વાસ લીધા હતા. જો કે તેમના છેલ્લા 1300 દિવસના નિવાસ દરમિયાન તેમણે અનેક ભક્તોને દીક્ષા આપી. વ્યસન મુક્તિના શપથ લેવડાવ્યા. મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરાવડાવી હતી. તેમની સાક્ષીમાં જ સાળંગપુર મંદિરનો શતાબ્દી મહોત્સવ ઉજવાયો હતો. કોઠારી સ્વામી તરીકેનું પદ પણ સાળંગપુર મંદિરમાં જ તેમને અવગત થયુ હતું, જ્યારે તેમને પ્રમુખ સ્વામી તરીકેનો દેહ પણ સાળંગપુરમાં જ છોડતા તેમની સારંગપુર સાથેની લાગણીઓ નજરબિંબ થાય છે.
પ્રમુખસ્વામીને શા માટે પસંદ હતુ સાળંગપુર
-BAPS તરીકે ઓળખાતી બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થાના આદ્ય સંસ્થાપક સાધુયજ્ઞપુરુષ દાસજી એટલે કે શાસ્ત્રી મહારાજ હતા.
-નાનપણથી જ ભક્તિમાં લીન રહેતા પ્રમુખસ્વામી મહારાજને શાસ્ત્રી મહારાજે ઈ.સ. 1946-માં 28 વર્ષની ઉંમરે સાળંગપુર મંદિરમાં કોઠારી સ્વામી તરીકે નિમ્યા.
-પ્રમુખસ્વામી સ્વામિનારાયણ ભગવાનનાં પાંચમાં આદ્યાત્મિક વારસદાર બન્યાં.
-નારાયણ સ્વરૂપજી એટલે કે પ્રમુખસ્વામી તો ગુરુની આજ્ઞાને સર્વોપરિ માની અને ધર્મના પ્રસાર અર્થે વિચરણ કરતાં કરતાં લોકસેવામાં જોડાતા ગયા.
- સાળંગપુરના કોઠારી સ્વામી બન્યા બાદ ચાર વર્ષ સુધી પ્રમુખસ્વામી સાળંગપુર ખાતે રહ્યાં હતા.
- પ્રમુખસ્વામી મહારાજના ગુરૂને પણ સાળંગપુર ધામ પ્રિય હોવાથી પ્રમુખસ્વામીને પણ તેનો અનોખો લગાવ હતો.
- પ્રમુખસ્વામીએ સાળંગપુર ખાતે થતા વૃક્ષારોપણ, મંદિરનો શતાબ્દી મહોત્સવ, બ્લડ ડોનેશન, દીક્ષાઓ સહિતના અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો છે.
- એક માહિતી અનુસાર સંસારનો ત્યાગ કર્યાં બાદ પ્રમુખસ્વામી સૌથી વધારે દિવસો સાળંગપુર ખાતે પસાર કર્યાં છે.
- બાપા પોતાના આશરે 1300 જેટલા અંતિમ દિવસો સાળંગપુર ખાતે રહ્યાં હતા.