મારી ઓળખ નથી ત્યારથી સંતાનની જેમ પાળતા હતા બાપા: PM મોદી
- પીએમ મોદીએ પ્રમુખ સ્વામી મહારાજના દિવ્ય દેહની આરતી ઉતારીને પુષ્પ અર્પણ કર્યા હતા.
- ગળે ડૂમો ભરાઈ આવતા થોડીવાર થોભીને નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, 'તમે ગુરુ ગુમાવ્યા અને મેં પિતા ગુમાવ્યા છે'
- તેમણે કહ્યું હતું કે, જ્યારે સ્વામીજી મને નહોતા ઓળખતા ત્યારથી તેઓ મને એક સંતાનની જેમ પાળતા, પોષતા અને મઠારતા હતા.
- તેમની પાસેથી મને પિતા તુલ્ય પ્રેમ મળ્યો છે.
- પ્રમુખ સ્વામીને ગુમાવીને મે પિતા સમાન વ્યક્તિ ગુમાવ્યા છે.
- પ્રમુખ સ્વામી માત્ર ગુરુ બનાવવા પુરતા મર્યાદીત નહોતા પરંતુ તેમણે આધુનિક ભારતને અનુરૂપ સંત પરંપરાને જાળવી રાખવાનું કામ કર્યું છે.
- જેમ માતા-પિતા સંતાનને પાળે, પોષે અને મઠારે એવો જ લાભ મને પ્રમુખ સ્વામી મહારાજ પાસેથી મળ્યો છે.
- પહેલાં જ્યારે ભાષણ કરતો ત્યારે પણ તેઓ મને ફોન કરીને કહેતા કે, તારાથી આવા અપશબ્દો ન બોલાય.
- અબ્દુલ કલામના 20-20 વિઝનમાં પણ પ્રમુખ સ્વામીની છાયા હતી. અબ્દુલ કલામમાં બાપાને વિશ્વાસ હતો.
- થોડા દિવસ પહેલા મેં 'બાપા' સાથે વાત કરી, તેઓ કંઇક કહેવા માંગતા હતા પણ કહી ન શક્યા. હું કંઇક બોલું તે તેઓ સાંભળવા માંગતા હતા. 'બાપા'ની સાથે વાતચીત કરી તેના સંસ્મરણો યાદ કરી મોદી ભાવુક થઇ ગયા
- પૂજ્ય બાપાના ચરણોમાં શ્રદ્ધાપૂર્વક નમન કરુ છું અને તેમનો તેમનો આત્મા આપણને હંમેશા આશિર્વાદ આપશે.
એરપોર્ટ પર રાજ્યપાલ ઓ.પી.કોહલીએ પીએમ મોદીનું સ્વાગત કર્યું
- બાપાના અંતિમ દર્શન માટે આવેલા વડાપ્રધાનનાં કારણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
- નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર ઉતરી સીધા સાળંગપુર જવા રવાના થયા હતા.
- એરપોર્ટ પર રાજ્યપાલ ઓ.પી.કોહલીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું.
મોદીની હાજરીમાં અન્ય ભક્તોના દર્શન બંધ કરાવાયા
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના હોવાથી પ્રમુખ સ્વામીને જ્યાં રાખવામાં આવ્યા છે તે જગ્યા ખાલી કરવામાં આવી હતી.
- માત્ર અમુક સાધુ સંતો હાજર હતા અને મુખ્યમંત્રી સહિતના અધિકારીકો તેમના પરિવાર સાથે સ્થળ પર હાજર હતા.
- પોલીસકર્મીઓ પ્રમુખ સ્વામીની જગ્યા ખાલી કરાવી રહ્યા હતા અને માત્ર ગણતરીના લોકો જ હાજર રહે તેવી વ્યવવસ્થા ગોઠવવામાં આવી હતી.
નરેન્દ્ર મોદીના આગમન માટે ખાસ હેલિપેડ બનાવાયું
દર્શન માટે ભક્તોની ભારે ભીડ
પ્રમુખ સ્વામી મહારાજે શનિવારે સાંજે છ વાગ્યે સાળંગપુર મંદિર ખાતે ચિરવિદાય લીધી હતી. તેમના અક્ષરગમનના સમાચાર ફેલાતા જ વિશ્વભરના હરિભક્તોમાં ભારે શોકની લાગણી પ્રવર્તી હતી. શનિવારે મોડી સાંજથી જ રાજ્ય, દેશ, દુનિયાના વિવિધ ભાગોમાંથી હરિભક્તો દર્શનાર્થે સાળંગપુર ખાતે આવવા લાગ્યા હતા. રવિવારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ સહિત રાજ્યપાલ ઓ.પી.કોહલી સહિત ત્રણ લાખથી વધુ ભક્તોએ પ્રમુખ સ્વામીના નશ્વરદેહના દર્શન કર્યા હતા