BAPSના વડા શ્રી પ્રમુખસ્વામી બ્રહ્મલીન થયા બાદ તેમનાં અંતિમ દર્શન માટે રાજ્યભરમાંથી ભકતોનો અવિરત પ્રવાહ સાળંગપુર આવી રહ્યો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સવારે બાપાના અંતિમ દર્શન કરીને આરતી ઉતારી હતી. બાપાના અંતિમ દર્શન માટે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સાળંગપુર પહોંચશે. તો દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પણ 16 ઑગસ્ટના રોજ આવશે.
દર્શન માટે ભક્તોની ભીડ
-સારંગપુરમાં બાબાના અંતિમ દર્શન માટે રાજ્યભરમાં ભક્તો
-અંતિમ દર્શન બાદ વિજય રૂપાણીએ કહ્યું હતું કે, 'સ્વર્ગમાંથી પણ બાપાના આશીર્વાદ મળશે, ગુજરાતને બાપાની ખોટ સાલશે'
-ભૂપેન્દ્રસિંહ ચુડાસણા, નીતિન પટેલ, મનસુખ માંડવિયા, મોહન કુંડારિયાએ કર્યા બાપાના દર્શન
-બાપાના દર્શન માટે આવતા હરિભક્તો માટે દરેક બસ ડેપો દીઠ 5થી 10 વધારાની બસની વ્યવસ્થા
17 ઓગસ્ટ સુધી કરી શકાશે અંતિમ દર્શન
બીએપીએસના વડા પ્રમુખસ્વામી મહારાજના દર્શન માટે 17 ઓગસ્ટ સુધી સંસ્થા દ્વારા શિડ્યુલ જાહેર કરાયું છે. રેલ્વે તંત્ર દ્વારા મુંબઈના ભક્તો માટે ભાવનગર સુધીની ખાસ ટ્રેનની વ્યવસ્થા કરી છે. જ્યારે યુકે દ્વારા ભક્તો માટે ખાસ વિઝાની વ્યવસ્થા કરવામાં આવી હોવાની પણ માહિતી છે. મુંબઈના હરિભક્તો બાપાના દર્શન કરી શકે તે માટે રેલવે વિભાગે ખાસ મુંબઈ-ભાવનગર ટ્રેનની વ્યવસ્થા કરવામા આવી છે.
સવારે 9: 30 કલાકે ભક્તોને દર્શન આપ્યા, સાંજે 6 કલાકે અંતિમ શ્વાસ લીધો
સાળંગપુર મંદિરના કોઠારી સ્વામી જ્ઞાનાનંદસ્વામીના જણાવ્યા મુજબ શનિવારે પણ નિત્યક્રમ મુજબ બાપાએ સવારમાં 9.30 કલાકે તેમની કુટિર બહાર ભકતોને દર્શન આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા, શનિવાર હોવાને લીધે ભકતોની ભીડ પણ બહુ જ હતી. ત્યારે નિત્યક્રમ મુજબ પ્રમુખ સ્વામીબાપાએ સવારના સમયે ભકતોને દર્શન આપી તેમનાં નિજ નિવાસ સ્થાન સંત આશ્રમમાં પ્રમુખસ્વામી કુટિરમાં સમગ્ર દિવસ દરમિયાન આરામ કરી રહ્યા હતા. ત્યારે સાંજના છ કલાકે ઇન્ફેકશનથી હાર્ટને અસર થવાથી તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. તેમની સાથે છેલ્લાં ત્રણ વર્ષથી પડછાયાની માફક રહેતા હાર્ટના ડોકટર નાયક તેમ જ સ્થાનિક તબીબોની ટીમ ખડેપગે રહેતા હતા.
શનિવારે સાંજે 6 કલાકે અક્ષરધામ ગમનના વાવડ વાયુવેગે પ્રસરી જતા બોટાદ, બરવાળા અને સાળંગપુરની બજારોમાં સન્નાટો છવાઇ ગયો હતો. ત્રણેય વિસ્તારના વેપારીઓએ પોતાના વેપાર-ધંધા બંધ કરી સાળંગપુર મંદિરે આવી પહોંચ્યા હતા. તેમનાં દેહને સાળંગપુર બાપ્સ સ્વામિનારાયણ મંદિર પરિસર સ્થિત સંત આશ્રમ ખાતે પ્રમુખસ્વામી કુટિરમાં રાખવામાં આવ્યો છે અને તેમનાં પાર્થિવ દેવના દર્શન માટે ગુજરાતભરમાંથી અને દેશ-વિદેશમાંથી ભકતો માટે ત્રણ દિવસ માટે દર્શન માટે રાખવામાં આવશે અને તા.17/8/16ના રોજ તેમના દેહને અગ્નિસંસ્કાર આપવામાં આવશે.