રાજકોટ: સૌરાષ્ટ્રના પાટનગર તરીકે ઓળખાતા રાજકોટનો જન્મદિવસ ક્યારે છે તે સતાવાર કોઇ રેકોર્ડ નથી. શહેરના રાજા રજવાડાઓ પણ કહી નથી શકતા કે રાજકોટનો જન્મદિવસ ક્યારે ગણી શકાય. પરંતુ ઇતિહાસને ધ્યાને રાખી અને પ્રજાએ નક્કી કરેલી વાત પ્રમાણે જુલાઇના પ્રથમ અઠવાડિયે રાજકોટને હેપી બર્થ ડે જરુર કહી શકાય. એટલે જ આજે સોશિયલ મિડીયામાં આવા શુભેચ્છા પાઠવતા મેસેજ વાયરલ થયા છે. 100 વર્ષ પહેલા અને હાલ રાજકોટ કેવું લાગતું હતું તેની તસવીરો divyabhaskar.comના વાંચકો માટે પ્રસ્તુત કરી છે.
આવો રહ્યો છે કંઇક ઇતિહાસ
રાજકોટ શહેર આજે તેનો સાંસ્કૃતિક અને ઐતિહાસીક વારસો સાચવીને એક આધુનિક, વિકસીત અને સમૃદ્ધ શહેર તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરી ચૂક્યું છે. આ શહેરનાં ઇતિહાસની શરૂઆત ઈ.સ. 1612માં ઠાકોર સાહેબ વિભાજી અજોજી જાડેજાથી થઈ હતી. ઠાકોર સાહેબ વિભાજીએ પોતાના મિત્ર રાજુ સંધિની મૈત્રી જીવંત રાખવા માટે રાજકોટની સ્થાપના અને નામકરણ કરેલા.
રાજકોટ પહેલા ઓળખાતું માસુમાબાદ તરીકે
ઈ.સ. 1720માં રાજકોટ ઉપર તે સમયના જૂનાગઢના નવાબ સુબેદાર માસુમ ખાને ચડાઈ કરીને ઠાકોર સાહેબ મહેરામણજી બીજાને હરાવીને રાજકોટને જીતી લીધુ હતું. જેથી માસુમ ખાને રાજકોટનું નામ બદલીને માસુમાબાદ કરી નાખ્યું હતું. ત્યાર બાદ 12 વર્ષ પછી એટલે કે ઈ.સ.1732માં મહેરામણજીનાં પુત્ર રણમલજીએ પોતાનું સૈન્ય એકઠું કરીને માસુમખાન ઉપર ચડાઈ કરીને તેને ઠાર માર્યો અને ફરીવાર પોતાનાં પિતાની ગાદી પાછી મેળવી હતી. જેથી ફરીથી તે સમયે ઠાકોર સાહેબ રણમલજી જાડેજાએ આ શહેરનું નામ બદલીને મૂળ નામ રાજકોટ રાખ્યું હતું.
100 પછી આવું દેખાય છે રાજકોટ
100 વર્ષ પહેલાની તસવીરોની સાથે વર્તમાન રાજકોટના વિકાસની તસવીરોની ઝલક પણ અહીં જોઇ શકાય છે. હાલ રાજકોટની વસ્તી 15 લાખને આંબી ગઇ છે. સતત વિકસતા જતા સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ હવે જુઓ ડ્રોનની નજરે.