અષાઢીબીજની બુધવાર 6 જુલાઇના સમગ્ર ગુજરાતમાં શ્રધ્ધાભેર ઉજવણી થશે તો આજ દિવસથી કચ્છીઓનું નૂતનવર્ષ શરૂ થશે જેની કચ્છીવાસીઓ ઉમંગભેર ઉજવણી કરશે. ધર્મકાર્યો, શુભકાર્યો માટે અષાઢીબીજ વણજોયું મુહૂર્ત છે. દિવસે ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે.
ભગવાન કૃષ્ણ, બલભદ્રજી અને બહેન શુભદ્રા નાના હતા ત્યારે ચક્ષુરોગ થતાં તેમને આરામ કરવા મોસાળ મોકલવામાં આવ્યા હતા જયા ત્રણેનું ભવ્ય સ્વાગત કરી નગરચર્યા કરવામાં આવી હતી. બસ આજ દિવસની સ્મૃતિમાં પ્રતિવર્ષ રથયાત્રાની ઉજવણી થાય છે. ત્રણ વણજોયા મુહૂર્ત અક્ષય તૃતિયા, વસંત પંચમી અને ત્રીજુ અષાઢીબીજ છે.
દિવસે નવા મકાન, વાહન, જમીન, દુકાન, ફેક્ટરીની ખરીદી, ભૂમિપૂજન, યજ્ઞયાગ સહિતના કાર્યો ઉત્તમ ફળદાયી ગણાય છે તેમ જણાવી ગજાનન આશ્રમ-માલસરના અધ્યક્ષ વિજયભાઇ જોશીએ જણાવ્યું હતું કે, અષાઢીબીજના દિવસે સૌરાષ્ટ્રના પ્રસિધ્ધ ધર્મસ્થાન ચલાલા, સતાધાર, તોરણિયા, પરબ, પાળિયાદ તેમજ રણુજામાં ધ્વજા બદલવી, મહાપૂજા, મહાઅારતી, ભંડારો સહિતના આયોજનો થશે. લાખોની સંખ્યામાં ભાવિકો ઊમટશે.