અમદાવાદ : કેન્દ્ર સરકાર વિદેશમાંથી બ્લેક મની ભારતમાં લાવવા કટિબદ્ધ છે. કેન્દ્રના નાણાં મંત્રી અરુણ જેટલીએ જણાવ્યું કે, સ્વિટ્ઝર્લેન્ડની એચએસબીસીના બેન્ક ખાતાની મળેલી વિગતોમાં તપાસ કરીને રૂ. 8 હજાર કરોડનું ઝડપાયું છે. અન્ય દેશો સાથે સહયોગ સાધીને વિદેશોમાંથી બ્લેક મની શોધી કાઢવાના પ્રયાસો જારી છે. પનામા પેપર્સમાં મળેલી વિગતોને આધારે તપાસ ચાલી રહી છે અને તેમાં જેમની સંડોવણી હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.
જી.એમ.ડી.સી. કન્વેન્શન હોલ ખાતે યોજાયો સમારોહ
ઈન્કમ ડિક્લેરેશન સ્કીમ વિશે કરદાતાઓની મૂંઝવણ દૂર કરવાની નેમ સાથે જી.એમ.ડી.સી. કન્વેન્શન હોલ ખાતે યોજાયેલ સમારોહમાં અરુણ જેટલીએ કહ્યું કે, આ સ્કીમ પૂરી થયા પછી આવક છૂપાવનારને કોઈ રાહત મળશે નહીં. આ સ્કીમની તા.30 સપ્ટેમ્બરની મુદતમાં વધારો કરવાનો તેમણે નિર્દેશ આપ્યો નથી. કરદાતાઓ પર વિશ્વાસ રાખવા આઈ.ટી. વિભાગને તેમણે અનુરોધ કર્યો હતો. ટેક્સ રીફોર્મ અમલી બનાવીને સરકાર એસેસી ફ્રેન્ડલી બની રહી છે. કરદાતાઓએ પણ વિચારસરણી બદલવી જોઈએ. પ્રામાણિક કરદાતા 34 ટકા ટેક્સ ભરે અને કરચોરી કરનાર ઓછો ટેક્સ ભરે તે વાજબી ન ગણાય. વિદેશોની તુલનાએ ભારતમાં ઓછો ટેક્સ રેટ છે.
બે નિવૃત્ત જજની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના
જેટલીએ કહ્યું કે, બ્લેક મની બહાર લાવવા બે નિવૃત્ત જજની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે. સ્વિસની એચએસબીસી બેન્કમાં ભારતીયોનું રૂ. 8 હજાર કરોડનું કાળું નાણું શોધી કઢાયું છે. આ કેસોમાં વેલ્યૂએશન કરીને કાનૂની કાર્યવાહી હાથ ધરાઈ છે. પનામા પેપર્સની જે વિગતો બહાર આવી છે તેમની સામે કડક કાર્યવાહી કરાશે. અમેરિકા, જી-22 દેશો સાથે માહિતીની આપ- લે કરવાના કરાર થયા છે. છૂપી આવક ધરાવનારને ભવિષ્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. જી.એસ.ટી. અમલી બન્યા પછી તમામ વ્યવહારોનું ક્રોસ વેરિફિકેશન કરાશે અને બ્લેક મની ઊભા કરવાનું શક્ય બનશે નહીં.
10 લાખની મિલકતની માર્કેટ વેલ્યૂ 55 લાખ હોય તો તે મુજબ ટેક્સ
રેવન્યુ સેક્રેટરી હસમુખ અઢીયાએ એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે, કોઈ વ્યક્તિએ 10 વર્ષ પહેલાં રૂ.10 લાખમાં મિલકત ખરીદી હોય અને હાલ તેની બજાર કિંમત રૂ. 55 લાખ થતી હોય અને આઈ.ડી.એસ. યોજના હેઠળ વિગત જાહેર કરે તો તેણે માર્કેટ વેલ્યુ મુજબ ટેક્સની ભરવો પડે.
ભાસ્કર એક્સપર્ટ : કાળાં નાણાંને સિસ્ટમમાં લાવવાનો પ્રયાસ છે
આઈ.ડી.એસ. ઘણી સારી છે અને બ્લેક મની બહાર લાવવાનો સરકારનો આ પ્રશંસનીય પ્રયાસ છે. આ સ્કીમ કરદાતાઓ અને સરકાર બંન્ને માટે લાભદાયી છે. આઈ.ડી.એસ. સ્કીમ સંબંધિત કરદાતાઓમાં જાગૃતિ લાવવા અને મૂંઝવણ દૂર કરવા માટે નાણાં મંત્રી અરૂણ જેટલીએ ગુજરાતમાંથી પ્રારંભ કર્યો છે તે આવકારદાયી છે. આ યોજનાનો હેતુ છૂપી આવક- મિલકત જાહેર કરવા માટે કરદાતાઓને પ્રોત્સાહિત કરવાનો અને સિસ્ટમની બહાર રહેલા નાણાંને સિસ્ટમમાં લાવવાનો છે. -જૈનિક વકીલ, જનરલ સેક્રેટરી, ઓલ ગુજરાત ટેક્સ ફેડરેશન
આગળ વાંચો માફી યોજના પૂરી થયે બેનામી મિલકતો જપ્ત થશે : અઢિયા